Thursday, February 25, 2010

માતૃભાષા માટે ગુજરાતીઓના પ્રેમની સીમાઓ.

સૌથી પહેલાં એક વાત કહી દઉ કે મને મારી માતૃભાષા અનહદ વ્હાલી છે.એના વિરોધમાં આ લેખ નથી.મહેરબાની કરીને એની નોંધ દરેક મુલાકાતી લે.

આજ કાલ મને ગુજરાતી સાહિત્ય સાથે જરા વધુ રહેવાનો લ્હાવો મળ્યો.ધબકારની સુગમ-સંગીત અને કાવ્ય-પઠનની સૂર-શબ્દોથી ગૂંથેલી યાદગાર બેઠક. એ પણ વળી ખ્યાતનામ કવિઓ શ્રી તુષાર શુકલ અને શ્રી કૃષ્ણ દવે સાથે.વળી બીજા જ દિવસે રજવાડું ખાતે “વિશ્વ માત્રુભાષા દિન”ની ઉજવણી નિમિત્તે શ્યામલ સૌમિલ,આરતી મુનશી અને બીજા બહુ બધા સરસ મજાના કલાકારો સાથે કરી.એ બધામાં બહુ મજા આવી.
ત્યાં એક સ્કુલના ટીચર મળી ગયા.બહુ ખુશ થયા મળીને.સાથે જ એક દુઃખદ સમાચાર આપતા કહ્યું કે,’આપણી શાળા ‘મોહિનાબા” ગુજરાતી માધ્યમ હવે બંધ કરી રહી છે.ફક્ત અંગ્રેજી માધ્યમ જ ચાલુ રાખશે.આંસુ આવી ગયા આંખમા સાચે આ સાંભળીને.
૨ દિવસ રહીને એક ક્ડવી સચ્ચાઈ જે સામે આવે છે, જે નગમ્ય ભાવોથી દિલને બેચેન કરી જાય છે.બહુ બધા ગુણ ગાન સાથે માતૃભાષાની જાળવણી માટે આપણે ગુજરાતી સાહિત્યમાં પૂરી પ્રામાણીકતાથી પદાર્પણ કરવું જ જોઈએ.કારણ એ આપણી ‘મા’ છે.એની જગ્યા ‘માસી’ જેવી અંગ્રેજી ભાષા ના જ લઈ શકે.બહુ ગમ્યું આવું સાંભળીને.વળી દર બીજા દિવસે નેટ પર પણ ગુજરાતી ભાષાના અસ્તિત્વને લઈને જે કુશંકાઓ સેવાય છે એ પણ દિલ દુભાવી જાય છે.ચિત્રલેખા જેવા મેગેઝીને પણ આ વખતે આની પર જ એક આર્ટીક્લ આપ્યો છે.આ બધું વાંચીને મનમાં એક પ્રશ્નનો કીડો સળવળ્યો.

-> આ ગુજરાતી ભાષા પર જે ખતરો તોળાય છે એની પાછળના કારણો શું?
->”ધબકાર” ગ્રુપ કોઈ જ નફા ના ઉદ્દેશ વગર આટલી સરસ પ્રવૃતિ કરે છે તો પણ દર વખતે એને ફંડની તકલીફ, પ્રોત્સાહનનો અભાવ,કે કોઈ જ જાતના મીડિયાનો સહકાર કેમ નહી?

મારી સમજણ મુજબ આપણી ભાષા બીજી ભાષાના પ્રમાણમાં થોડી..ના ના..બહુ બધી અઘરી છે.એ શીખવા માટે,એને પૂરે પૂરી આત્મસાત કરવા માટે ખૂબ જ સમય અને ધીરજ અને આકરી ટીકાઓ સહન કરવાની સહનશક્તિ જોઈએ .એમ છતાં તમે પૂરે પૂરી વફાદારી અને લગનથી એ શીખી લો તો પણ એક કડવી સચ્ચાઈ એનું વિકરાળ મોઢું ફાડીને સામે જ ઉભી હોય છે કે,

->” આમાંથી આર્થિક ઉપાજન કેટલું”?

આજનો યુવા વર્ગ એનાથી જે રીતે વિમુખ થઈ રહ્યો છે એ ઉપરથી એ તો ફલિત થાય જ છે કે સહેજ પણ સંતોષકારક વળતર નહીં.પોતાનો અઢ્ળક સમય અને મહેનત જો એ બીજી ભાષામાં કોઈ નવો જ નીકળેલ કોર્સ શીખવામાં વાપરે તો એને આરામથી ઘર ચલાવી શકવામાં મદદ થાય એટલી આવક ઉભી તો કરી જ શકે એ. માતૃભાષા પ્રત્યે અનહદ પ્રેમ હોવા છતાં પણ આજનો યુવાન એનું ભવિષ્ય તો દાવ પર ના જ લગાવી શકે. એટ્લે નાછૂટકે એ બીજી ભાષાઓનું શરણ મને-કમને પણ સ્વીકારે છે.ભલેને કાલે જ એ ગુજરાતી ભાષાના કાર્યક્રમમાં દિલ ખોલીને તાળીઓ પાડીને ખુશ ખુશ થઈને ઘરે આવ્યો હોય.ઘરે આવીને ટી.વી.માં ચાલતા હિન્દી-અંગ્રેજી પ્રોગ્રામો એનો બધો નશો ઊતારી નાખે છે.આપણે માતૃભાષાને બચાવવા માટે આટલી ચિંતા કરીએ છીએ તો એમાંથી કમાણીનો માર્ગ ઉભો કરવાનો રસ્તો કેમ નથી વિચારતા?કદાચ જો હોય તો માફ કરજો, મારા ધ્યાનમાં તો નથી જ.

->આકર્ષક સરસ મજાનો પગાર મળતો હોય તો મજાલ છે કોઈ ગુજરાતી બચ્ચાની કે એ બીજી ભાષાની શરણાગતી સ્વીકારે?ગુલામી કરે? ગુજરાતી ભાષાના કવિઓ, લેખકો,સંગીતકારોને કે ગાયકોને સંતોષકારક મહેનતાણું મળતું થાય તો કેટલા આશાસ્પદ કલાકારો મળી શકે એમ છે.પણ પેલું કહેલ છે ને કે,
“ભૂખ્યા પેટે ભગવાનની પૂજા ના થાય”,
બસ એવું જ કંઈક.ગુજરાતી સાહિત્યના સમાચાર ગુજરાતમાં જ ગુજરાતી છાપા કે ટી.વી.માં આપવા માટે પણ કેટ-કેટલા પાપડ બેલવા પડે છે.કલાકારોને એક હદ સુધી તોડી કાઢે છે.અનેક ટીકાઓ,સંઘર્ષ સહન કરીને એણે પોતાની કલાને વિકસાવી હોય અને કોઈ જ પ્રતિસાદ ના મળતા છેલ્લે આ તો ખાલી શોખ છે અને બસ દિલ ખુશ થાય છે આવી પ્રવ્રુતિઓથી એમ કહીને મન મારીને ચૂપ ચાપ બેસવું પડે છે. અને આમ જ એક દિવસ એની અંદર-અંદરથી ગુજરાતીપણું ક્યારે મરતું જાય છે એ એને પોતાને જ નથી સમજાતું.
મને તો ગુજરાતી ભાષાના અસ્તિત્વ અંગે નહીં પણ ગરવા ગુજરાતી ના ‘ગુજરાતીપણાના અસ્તિત્વની’ ચીંતા થાય છે.આજના સુપરફાસ્ટ જમાનામાં ભૂખ્યા પેટે એ માંદલો અને તૂટી ગયેલ ગુજરાતી પેટીયું રળવાની ચીંતા પહેલા કરશે કે ગુજરાતી ભાષાને બચાવવાના પ્રયાસો કરશે? અને એ બધા સંજોગો જો એને તોડી કાઢશે તો એ કયાં સુધી પોતાની માતૃભાષા પર મને ગર્વ છે જેવી ખોખલી વાતો કરી શકશે? હકીકતની દુનિયામાં જીવતા અનેક લોકો મારી વાત સાથે સંમત થશે જ, હા અહીં ખુલ્લે આમ લખવાની હિંમત કેટલા કરશે એ મને નથી ખબર.!!
મારે આ પ્રશ્ન કોઈ ગુજરાતી મેગેઝીન કે છાપામાં પણ આપવો છે.દીવા જેવી નજરે ચડતી સળગતી હકીકત તરફ લોકોનું ધ્યાન દોરવું છે.કોઈની ઓળખાણ હોય તો કહેજો.ગુજરાતી સાહિત્યની માફી સાથે.

-સ્નેહા-અક્ષિતારક.

1 comment:

sneha-akshitarak said...

thnક્ષ્ maro artical ahi mukva ne yogya ganva badal...taro blog sache bahu saras banavyo che..gamyo.keep it up bhaila...